પ્રકૃતિ એ જ પરમેશ્વર છે. જે સર્વત્ર છે અને જે કદી નાશ નથી પામતી તે પ્રકૃતિ. પ્રકૃતિ હમેંશા પોતાના નિયમ અનુસાર જ ચાલે છે.. તો ચાલો આજે આ૫ણે ”પ્રકૃતિ એ જ પરમેશ્વર” Pprakruti a j Parmeshwar) વિશે ગુજરાતીમાં નિબંધ લેખન કરીએ.
પ્રકૃતિ એ જ પરમેશ્વર નિબંધ (Prakruti a j Parmeshwar Essay in Gujarati) :-
ભગવાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાં પણ મહામૂલા માનવીનું સર્જન કરીને તેના સુખ-શાંતિ, સંપત્તિ અને પ્રસન્નતા માટે તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રકૃતિનું સર્જન કરીને આપણા પર મહાન ઉપકાર કર્યો છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય જ નથી. આ ધરતી ઉપર જીવન જીવવા માટે ભગવાને આપણને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોના સ્વરૂપે કીમતી અને બહુમૂલ્ય ભેટ આપી છે.
માણસથી લઇને સમગ્ર જીવસૃષ્ટિ કુદરતને, પ્રકૃતિને આભારી છે. આ જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ઋતુચક્ર, આબોહવા, પર્યાવરણ, નદીઓ, તળાવો, સમુદ્રો, જંગલો, વનસ્પતિઓ, ફૂલો, ખનીજ પેદાશો, પહાડો, વાતાવરણ વગેરે પાયાના પરિબળો છે. આ પરિબળો દ્વારા આપણે આપણું જીવન આનંદપૂર્વક પસાર કરી શકીએ છીએ. ધરતી પ્રાકૃતિક સુંદરતાથી સુશોભિત છે અને આપણે તેનો કોઈ પણ સમયે આનંદ ઉઠાવી શકીએ છીએ. દરેક ઋતુની એક આગવી ઓળખ છે. આગવું સૌન્દર્ય છે. જેનો આપણે દરેક ક્ષણે આનંદ ઉઠાવી શકીએ છીએ.
જે રીતે માનવ ખોરાકની પૂર્તિ કરવા માટે ખેતીકામ કરે છે. વિવિધ પ્રકારની શાકભાજી, કઠોળ, તેલીબિયા વગેરે પકવીને પોતાની ભૂખ સંતોષે છે. તે જ રીતે માનવની, નાના-મોટા દરેક જીવની તરસ છીપાવવા માટે કુદરતે નદીઓ, તળાવો, કુવાઓનું સર્જન કર્યું છે. પ્રકૃતિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. કુદરતે પ્રકૃતિના રમ્ય અને રોદ્ર બંને સ્વરૂપ ની રચના કરી છે. કુદરત ની લીલા અપરંપાર છે જેનો અહેસાસ આપણે હર ઘડીએ, તેના વિવિધ તત્વો દ્વારા કરીએ છીએ.
પ્રકૃતિ એ જ પરમેશ્વર(prakruti a j parmeshwar essay in gujarati)
આદિમાનવ ભલે અભણ હતો. તેનામાં અક્ષરજ્ઞાન નહોતું પણ દીર્ઘદ્રષ્ટિ હતી. તે પ્રકૃતિનું તેના વિવિધ તત્ત્વોનું મહત્ત્વ સમજતો થયો અને તેનું રક્ષણ કરવા લાગ્યો. આ તત્વોને વાયુદેવ, અગ્નિદેવ તરીકે પૂજવા લાગ્યો. તે જ રીતે વૃક્ષો, વનસ્પતિઓ, ગાય, સાપ વગેરેની એ પૂજા કરતો હતો, એનું રક્ષણ કરતો હતો. વનસ્પતિઓ, ફૂલ, ફળો વગેરેનો ઔષધ તરીકે ઉપયોગ કરતો હતો.
આજે પણ આપણે ઘણીવાર દવાખાનાના આંટાફેરા મારીને થાકી જઈએ છીએ અને કોઈ જ પરિણામ આપણને મળતું નથી ત્યારે આપણે પણ પ્રકૃતિ ના શરણે જઈએ છીએ. વિવિધ જડીબુટ્ટીઓનો દવા તરીકે ઉપયોગ કરીએ છીએ અને જાણે ચમત્કાર થાય છે. ઘણા વૃક્ષોનાં મૂળિયાં, છાલ વગેરેનો પણ આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. વિવિધ ફૂલોનો પણ આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઉનાળાના બળબળતા તાપમાં આપણને લૂ લાગે છે ત્યારે કેસુડાના ફૂલો પાણીમાં બોળીને તેનાથી નાહીએ છીએ. ખાટી આમલીનું શરબત પીએ છીએ. જે આપણને ઠંડક આપે છે. આવી તો ઘણી બધી વનસ્પતિઓ આપણી આસપાસ પથરાયેલી છે જેનો ઉપયોગ કરીને આપણે સાવ સાજા થઇ જઇએ છીએ અને એ પણ મફતમાં.
ઘણીવાર જેને આપણે નિંદામણ તરીકે કે કચરો સમજીને કાઢી નાખીએ છીએ એ વિવિધ વનસ્પતિઓ પણ ઔષધ તરીકે ઘણી ઉપયોગી સાબિત થાય છે. વૃક્ષો તો આપણને ખૂબ જ ઉપયોગી છે એ તો આપણે જાણીએ છીએ. આ વૃક્ષો તો કુદરતી air-freshener છે જે હવાને શુદ્ધ બનાવે છે. સાંપ્રત સમયમાં કોરોના જેવી મહામારીએ આપણને આપણા દેશી વૃક્ષોનું મહત્વ સમજાવી દીધું છે. જેમ કે વળ, પીપળો, મહુડો, લીમડો, ખાટી આમલી આ બધા વૃક્ષોનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે જેને બચાવવાની જરૂર છે. વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ વધારવા માટે આવા મહાકાય વૃક્ષ ઉપયોગી છે એવું કદાચ હવે માનવને સમજાવા લાગ્યું છે.
ઘણી બધી વનસ્પતિઓ, વૃક્ષો એવા છે કે જેનો આપણે મસાલા તરીકે આપણી વાનગીમાં ઉપયોગ કરીએ છીએ. જેનાથી વાનગીઓનો સ્વાદ તો વધે છે પણ આપણા માટે ઘણીવાર દવા તરીકેની પણ ગરજ સારે છે. આ કોરોનાકાળમાં આપણે પ્રકૃતિની વધારે નજીક આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના ની દવા હજુ સુધી શોધાઇ જ નથી, તેથી આપણે ઘણા દેશી ઉપચાર અજમાવ્યા છે, જેમાંથી તો ઘણી વનસ્પતિઓને આપણે જાણતા પણ નહોતા. (ખાસ વાંચો- વૃક્ષો આપણા મિત્રો નિબંધ)
પ્રાણીઓ પણ આપણને ઘણી રીતે ઉપયોગી છે. ખાસ કરીને ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ અને બીજા ઘણા પ્રાણીઓ. એમાંય ખાસ કરીને ગાયને તો આપણે માતા તરીકે માનીએ છીએ, એને પૂજીએ છીએ. ગાયનું દૂધ સર્વોત્તમ ગુણકારી માનવામાં આવે છે. ગૌમુત્ર પણ ખૂબ જ ઉપયોગી છે, જેનો દેશી ઉપચાર તરીકે ઘણા બધા રોગોમાં ઉપયોગ થાય છે. આ ગૌમૂત્રનો ઉપયોગ કરીને જંતુનાશક દવા બનાવવામાં આવે છે. તેઓ ગાય, ભેંસ, ઘેટા બકરાની લીંડી, છાણમાંથી કુદરતી ખાતર બનાવવામાં આવે છે. આજના સમયમાં જોઈએ તો ઘણા બધા ખેડૂતો આ બધાનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી કરવા તરફ વળ્યા છે જે ખૂબ સારી વાત ગણાય.
પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ ખૂબ જ મનમોહક છે. જેને માણવા માટે પ્રકૃતિના ખોળે વિહરવુ પડે, તેને મળવું પડે. માણસ જ્યારે પોતાની દોડધામભરી જિંદગીથી થાકી જાય છે, ત્રાસી જાય છે, ત્યારે શાંતિ મેળવવા માટે તે કુદરતના ખોળે જ જાય છે. ત્યાં તેને અપાર શાંતિ મળે છે, નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. ગાઢ જંગલોમાં ફરવાથી, નાના-મોટા પહાડો પરથી પડતાં ઝરણાંના પાણીને જોવાથી, એનો અવાજ સાંભળવાથી, તેના પાણીમાં નહાવાથી કે તેના પાણીમાં પગ રાખી ઊભા રહેવાથી, નદીઓમાં, નાવડીઓમાં બેસીને ફરવાથી કે પછી બાગ બગીચામાં ફરવાથી, ખુલ્લા પગે ચાલવાથી, બાગમાં ખીલેલા વિવિધ ફૂલોને, વેલીઓને નિહાળવાથી કે એની શીતળતાને મળવાથી માણસને અપાર શાંતિનો અહેસાસ થાય છે. ઘડીભર માટે તે પોતાની દોડધામભરી જિંદગીને ભૂલી જાય છે અને પ્રકૃતિના તત્વો સાથે ઓતપ્રોત થઈ જાય છે.
જંગલોમાં રખડતા, પક્ષીઓના મીઠા મધુરા કલરવને સાંભળીને માણસ સંગીતમય બની જાય છે, કે આનંદિત થઈ જાય છે. પોતાની ટેન્શનયુક્ત જિંદગીને ભૂલીને પ્રકૃતિમાં એકાગ્ર બની જાય છે. નવીન તાજગીનો અનુભવ કરે છે, વરસતા વરસાદમાં માણસ ક્યારેક બધું ભૂલીને નાના બાળકની જેમ ન્હાવા માંડે છે. દરિયાકિનારે ભીની રેતીમાં ચાલવાથી કે દરિયાના મોજામાં ભીંજાવાથી કે દરિયામાં ન્હાવાનો જે આનંદ આપણને મળે છે તે આજની ટેકનોલોજીના કોઈપણ સાધનમાંથી આપણે મેળવી શકતા નથી.
માણસ જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો એને સૂઝતો નથી ત્યારે તે ઈશ્વરના શરણે જાય છે. તેમ માણસ જ્યારે પોતાની સતત દોડધામભરી જિંદગીથી થાકી જાય છે, ત્રાસી જાય છે, ત્યારે તે કુદરતના શરણે જાય છે. એક ઝાડના છાંયે બેસીને, તેની શીતળતાને માણીને, માનવીને હાસ થઈ જાય છે. તે હળવો ફૂલ બની જાય છે. શહેરમાં રહેતો માણસ એક લાસની જેમ જીવે છે. તે સમયની સાથે, ઘડિયાળના કાંટા સાથે ચાલે છે. પોતાની આજુબાજુ શું થઈ રહ્યું છે તે જોવાનું કે માણવાનો પણ સમય નથી રહેતો. ત્યારે પ્રકૃતિમાં રહેલો વ્યક્તિ કે હંમેશા જે પ્રકૃતિના તત્વો સાથે તાલ મિલાવીને જીવે છે. તે વ્યક્તિ કુદરતી રીતે જીવંત બની જાય છે.
પ્રકૃત્તિમાં રહેલી હવાની શુદ્ધતાને માણીને વ્યક્તિની બધી જ બીમારીઓ મટી જાય છે. તેના મનના બધા જ ઉચાટ, ઉદ્વેગ શાંત થઈ જાય છે. તે હળવાશનો અનુભવ કરે છે. આમ પ્રકૃતિમાં રહેલા સહજ પરમાત્માનો અનુભવ થવાથી વ્યક્તિ કુદરતી રીતે જ આનંદમાં રહે છે. કુદરતી વાતાવરણમાં રહેવાથી વ્યક્તિની તંદુરસ્તી પણ સારી રહે છે. અને આ જ માણસની સાચી સ્મૃઘ્ઘિ છે.
હવે ચોમાસાની શરૂઆત થઈ છે, થોડો થોડો વરસાદ વરસતો રહે છે. પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ માણવાનો સમય એટલે ચોમાસુ. વરસતા વરસાદની સાથે કુદરત પણ પોતાનું સ્વરૂપ બદલતી રહે છે. જ્યારે બાજુ આપણને માત્ર લીલોતરી જ જોવા મળશે. જ્યાં નજર કરીએ ત્યાં આપણને હરિયાળી જ જોવા મળે છે. અને એ લીલા રંગમાં પણ આપણને કેટલીય જાતના વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે.
આપણા બાગ બગીચામાં વિવિધ રંગોના ફૂલ ખીલે છે ત્યારે રંગોની સુંદરતા, એની વિવિધતાને માણતા, મેઘધનુષના રંગોને જોતા ક્યારેક એમ વિચાર આવે છે કે ક્યાંથી આવે છે આ રંગો? કોણ રંગે છે આ ફૂલોને? કોણ આ ફુલોમાં સુગંધ મૂકી જાય છે? વૃક્ષોના, વનસ્પતિઓના પાંદડાં જોઈએ છીએ તો એમાં પણ કેટલાય આકાર, કેટલી વિવિધતા, કેટલાય રંગો આપણને જોવા મળે ત્યારે વિચાર આવે છે કે કુદરત જ સૌથી મોટો સર્જનહાર છે. એના આગળ માનવ અસ્તિત્વ કંઈ જ નથી. આપણે તો કલ્પના પણ ન કરી શકીએ એટલી વિવિધતા કુદરતમાં વેરાયેલી છે.
ખરેખર કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે. અને એ જેટલું આપે છે તે ઓછું જ છે. એનો ખજાનો અનમોલ અને અખૂટ છે. એમાંથી આપણને જેટલું પામીએ એટલું ઓછું જ છે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે
”કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચ નહીં”
તેમના આ એક વાક્યથી જ કુદરત, પ્રકૃતિ શું છે એ આપણને સમજાય છે. કુદરત પોતાનામાં વસેલા દરેક જીવને પાળે છે, પોષે છે, એનું જતન કરે છે, રક્ષણ કરે છે, તે જ તારનાર છે અને એ જ મારનાર ૫ણ છે. ઝાડી-જંગલમાં વસતા જીવોનું કોણ પાલન-પોષણ કરે છે? કોણ જીવડાવે છે? કોણ પીવડાવે છે? એ કુદરત જ છે કે જે દરેકને કુદરતી આપત્તિઓથી બચાવે છે, એમનું રક્ષણ કરે છે. ખરેખર પ્રકૃતિ એ જ ઈશ્વર છે. એ જ પૂજા છે, એ જ ગુરુ છે. પ્રકૃતિ એ જ પરબ્રહ્મ છે. અને એ જ પરમાત્મા છે.
હવે પ્રાકૃતિક સ્થળો ઘટતા જાય છે. તેથી પશુઓ માટે અભ્યારણ બનાવવા પડ્યા છે. તેવી જ રીતે પ્રકૃતિને સંવર્ધન કરવા ‘સંવર્ધિત અરણ્ય’ જાહેર કરવા પડે તેવી પરિસ્થિતિ આ૫ણે ઊભી કરી છે. આ બધું બચાવવા માટે આપણે પ્રયત્ન કરવા જ પડશે, નહીં તો આ માનવજાતનો વિનાશ નક્કી જ છે. કારણ કે માનવજાતે જે વિકાસ કર્યો છે તે પ્રકૃતિ સાથે રહેવા માટે નથી કર્યો, પણ પ્રકૃતિ ના ભોગે વિકાસ કર્યો છે. અંને પ્રકૃતિના ભોગે વિકાસ શક્ય જ નથી, એવું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે,
પ્રકૃતિનું સંવર્ધન જ છે પૂજા, અને આપણે કરીએ છીએ પ્રાર્થના
પ્રકૃતિ જ સ્વર્ગ છે, અને આપણે કરીએ છીએ મર્યા પછી સ્વર્ગની કલ્પના….
પ્રકૃતિની હવામાં જ છે આરોગ્ય, અને આપણે શોધીએ છીએ હોસ્પિટલોમાં…..
પ્રકૃતિના સાંનિધ્યમાં જ છે સાચું સુખ, અને આપણે શોધીએ છીએ આલીશાન શહેરોમાં…
આપણે દુનિયાભરની આવડત ડેવલપ કરીએ છીએ, પણ શાશ્વત સુખ જયાં ઈશ્વરે સ્વયંભૂ આપ્યું છે, ત્યાં જતા નથી.
અંતે પ્રકૃતિ જ પરમેશ્વર છે અને આપણે શોધીએ છીએ મંદિરમાં…….
લેખક:-પ્રિમલબેન મગનભાઈ ચૌધરી, શિક્ષક, પ્રાથમિક શાળા ઝાંખરી વ્યારા,તા.વ્યારા જિ.તાપી
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો પ્રકૃતિ એ જ પરમેશ્વર (પ્રકૃતિ પર નિબંધ) (Prakruti Parmatma nu Swarup Essay in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિર્ધાથી મિત્રોને પ્રકૃતિ નું મહત્વ, પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ, પ્રકૃતિના ખોળે એક કલાક નિબંધ માટે પણ ઉપયોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.